ઊંઝા નગરના પનોતા પુત્ર અને આખા ઊંઝા નગર પર જેનું સદાય ઋણ છે એવા ઊંઝા નગરના ‘નગર રત્ન’ શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસની 82 મી પુણ્યતિથિ નિમિત્તે લાઇબ્રેરી તરફથી પુષ્પાંજલિનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ઊંઝા નગરના પ્રતિષ્ઠિત આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો, તમામ સંસ્થાઓના હોદ્દેદારો અને સેવકો ખાસ
ઉપસ્થિત રહેવાના છે.આ લાયબ્રેરી લગભગ 116 વર્ષ જૂની છે. અત્યારે હાલ લગભગ દરરોજ ઉંઝા તાલુકાના આજુબાજુના ગામોમાંથી 145 થી 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. આ લાયબ્રેરીને હવે ‘નોલેજ સેન્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ સાલે લગભગ 27 જેટલા યુવાનો અભ્યાસ કરી ગુજરાત સરકાર તરફથી લેવાતી વિવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઇ સરકારી નોકરી મેળવી રહ્યા છે, તદુપરાંત ગઈ સાલે પણ 34 અને આ વર્ષે 27 જેટલા યુવાનોને સરકારી નોકરી મળી હતી. આ લાયબ્રેરીની અંદર વાઇફાઇ, એસી, ઠંડા પાણીની સુવિધા તેમજ આરામદાયક રિવોલ્વિંગ ચેર જેવી અનેક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે, અત્યારે પણ આ મકાન ખૂબ જ નાનું પડતું હોવાથી ભવિષ્યમાં બાજુના ત્રણ મકાનોની અંદર ઊંઝા નગરને અનુકૂળ આવે તેવી સુવિધાયુક્ત નોલેજ સેન્ટર બનાવવાનું અને ખાસ કરીને નાના બાળકો માટે સુવિધાયુક્ત નોલેજ સેન્ટર બનાવવાનું સંસ્થાના હોદ્દેદારો વિચારી રહ્યા છે.તારીખ 13 ઓક્ટોબર, 24 રવિવારના રોજ સવારે 8-45 કલાકે શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસ સાર્વજનિક પુસ્તકાલય, કોટકુવા, ઊંઝા પર શેઠને સ્મરણાંજલિ આપવાનો એક સુંદર કાર્યક્રમ રાખેલ છે. આવા આ સેવાકીય પોગ્રામમાં તેજપાલભાઈ પટવા,તુષારભાઈ પટેલ,જશુભાઈ એન્જીનીયર અને રમણભાઈ સથવારા વર્ષોથી વિશેષ સેવાઓ આપી રહ્યા છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર.
